ધ્રાંગધ્રાના રાજગઢના યુવકની જાન જવાની હતી, એના આગળના દિવસે પ્રેમિકાએ દુષ્કર્મની ફરિયાદ કરતા પોલીસે રાત્રે યુવકને ઉઠાવી લીધો હતો. બીજીબાજુ યુવક સાથે પરણનાર યુવતીની જિંદગી ના બગડે એ માટે રાત્રે બીજા યુવક સાથે સગપણ નકકી કરી જાન જોડી બીજા યુવકે લગ્ન કર્યા હતા. પ્રેમિકાની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક સામે તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામના પ્રેમના કરૂણ અંજામની સનસની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી. રાજગઢ ગામના જગદીશ ગોરધનભાઇને છેલ્લા છ વર્ષથી અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તેમ છતાંય અલગ જ્ઞાતિના કારણે યુવકના જ્ઞાતિનાં સમાજની યુવતી સાથે પરિવારજનોએ લગ્ન નક્કી કર્યા હતા.શુક્રવારે ધ્રાંગધ્રા વિસ્તારના ગામડામાં જ યુવકની જાન જવાની હતી.
યુવક અને પરિવારજનોમાં આનંદનો માહોલ છવાયેલો હતો. રાત્રે પ્રેમિકાએ પોલીસમાં ફરિયાદ કરતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ રાત્રે જ જેના લગ્ન હતા, એ યુવકને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. યુવક ઉપર યુવતીના એવા ગંભીર આરોપ હતા કે યુવકને છુટવાની કોઇ તક દેખાતી ન હતી. જેથી રાજગઢના યુવકના સમાજના આગેવાનોએ સામેની પરણનાર યુવતીની જિંદગી ના બગડે એ માટે રાત્રે ત્રણ વાગ્યે સમાજના અન્ય યુવકને યુવતીને બતાવી સગપણ નકકી કરી સવારે જાન જોડી લગ્ન કર્યા હતા. બીજી તરફ પ્રેમી ફેરા ફરવાના સમયે પોલીસ સ્ટેશનની હવા ખાઇ રહયો હતો. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
યુવક અન્ય યુવતી સાથે ફેરા ફરે તે પૂર્વે જ પોલીસ મથકમાં હવા ખાતો થયો
કહેવાય છેને કે પ્રેમ આંધળો હોય છે પ્રેમની કોઇ સીમા નથી હોતી પ્રેમીકાને લાગ્યુ કે મારો પ્રેમી મારો નહી થાય જેથી યુવકની જાન જવાના આગળની રાત્રે જ યુવકને પોલીસ સ્ટેશન પહોંચાડી દેતા આને કહેવાય પ્રેમનો કરૂણ અંજામ.