પતિ સાથે રહેતી નાની બહેનના 1 વર્ષના પુત્રનો કાંટો દૂર કરવા માસીએ જબરી ચાલ રમી, રખડતા શ્વાનોએ ભાંડો ફોડ્યો

GUJARAT

સુરતઃ શહેરમાંથી એક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સુરતમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધું છે. એક બાળકને મારીને તેને દફનાવી દેવામાં આવ્યો હતો. જો કે, આ વાતની જાણ કોઈને નહોતી. પરંતુ રખડતા શ્વાનોએ હત્યાનો ભાંડો ફોડ્યો હતો.

રખડતા શ્વાનોએ બાળકને જે જગ્યાએ દફનાવવામાં આવ્યો હતો ત્યાંની માટી ખોદી હતી. બાદમાં આખી ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પતિ સાથે પત્નીની નાની બહેન લિવ ઈનમાં રહેતી હતી. તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં તેનું અવસાન થયા બાદ મોટી બહેને બાળકને સાચવવો ન (Surat News) પડે એટલે આ કાંડને અંજામ આપ્યો હતો.

બાળકના જન્મ બાદ માતાનું મોત
એક મહિલાનો પતિ તેની નાની બહેન સાથે લિવ ઈનમાં રહેતો હતો. નાની બહેને એક બાળકને જન્મ આપ્યો હતો. તાજેતરમાં જ તેનું અવસાન થયું હતુ અને એક વર્ષનું બાળક હતું. જેથી પતિએ તેની પત્નીને સમજાવીને ઘરે બોલાવી હતી.

બાદમાં બાળકને સાચવવાને લઈને પત્નીને જોર આવતું હતું. જેથી તેણે હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, આ એક વર્ષીય બાળકનું મોત જમીન પર વારંવાર માથુ પછાડવાના કારણે થયું છે. તેની મોટી માસી મમતાએ જ આ ઘટનાને 13 ઓગસ્ટના રોજ અંજામ આપ્યો હતો. આ દિવસે મમતા અને તેના પતિ અરુણ ભોલે વચ્ચે ઝઘડો પણ થયો હતો.

બાળકની સફાઈને લઈ થતો હતો વારંવાર ઝઘડો
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, એક વર્ષીય બાળકના મળને સાફ કરવાને લઈને મમતા અને અરુણ ભોલે વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ અરુણે તેને માર પણ માર્યો હતો. બાળકની હત્યા થઈ છે એ વાતની જાણ અરૂણ ભોલેને નહોતી.

જે બાદ આ દંપતીએ બાળકના મૃતદેહને રજાઈ અને પ્લાસ્ટિકની ચાદરમાં લપેટ્યો હતો. પછી પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણપતનગર વિસ્તારમાં ગયા હતા. અહીં તેમનું એક મકાન હતું. જ્યાં તેઓએ ખુલ્લા મેદાનમાં બાળકને દાટી દીધું હતું.

રખડતા શ્વાનોએ ભાંડો ફોડ્યો
મંગળવારના દિવસે આ હત્યાનો કાંડ સામે આવ્યો હતો. કેટલાંક સ્થાનિક લોકોએ જોયું કે રખડતા શ્વાન કંઈક સૂંઘી રહ્યા છે. બાળકને જ્યાં દફનાવવામાં આવ્યું હતું ત્યાં જ આ રખડતા શ્વાનો માટી ખોદવાનો પ્રયાસ કરતા હતા. જેથી સ્થાનિકોએ તપાસ કરી તો ત્યાંથી દફનાવી દીધેલો બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ આ વાતની જાણ પોલીસને કરી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભારે વરસાદના કારણે આ દંપતી ઊંડુ ખોદી શક્યુ નહોતું. તેઓએ બાળકને થોડી જમીન ખોદીને દાટી દીધું હતું.

પતિ પત્નીને છોડી તેની નાની બહેન સાથે રહેવા લાગ્યો
પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો કે, 30 વર્ષનો અરૂણ ભોલે મજૂરીકામ કરે છે. તેણએ 28 વર્ષીય મમતા સાથે ઓડિશાના ગંજામમાં લગ્ન કર્યા હતા. બંને વચ્ચે વિવાદ થતો હોવાથી અરૂણ ભોલે સુરત આવ્યો હતો. જો કે, તે પોતાની પત્ની મમતાને સાથે લાવ્યો નહોતો, પણ તેની નાની બહેન સંગીતાને સાથે લઈને આવ્યો હતો. અહીં તેઓ દંપતીની જેમ રહેતા હતા. દોઢેક વર્ષ જેટલો સમય સુધી તેઓ લિવ ઈનમાં રહ્યા હતા. આ દરમિયાન સંગીતાએ એક છોકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ નાતિયા પાડવામાં આવ્યું હતું.

બે મહિના પહેલા નાની બહેનનું મોત
એ પછી બે મહિના પહેલાં કોઈ બીમારીના કારણે સંગીતાનું અવસાન થયું હતું. એટલે અરૂણ ભોલેએ મમતાને મનાવી હતી અને સુરત લઈ આવ્યો હતો. નાતિયા તેની નાની બહેનનો છોકરો હોવાથી મમતાને એ વાત જરાય ગમતી નહોતી. તે તેની સાર સંભાળ રાખવાનો પણ ઈનકાર કરતી હતી. જ્યારે પણ આ બાળક મળ ત્યાગ કરે તો મમતા તેની સાફ સફાઈ પણ કરતી નહોતી અને સ્વચ્છતા રાખતી નહોતી. આ વાત અરૂણ ભોલેને ખટકતી હતી, એવું તપાસ અધિકારીએ જણાવ્યું હતું. ઘરમાં ગંદકી થવાના કારણે અરુણ ભોલે ગુસ્સે થતો હતો અને વારંવાર મમતાને ઠપકો આપતો હતો. સાથે જ તે માર પણ મારતો હતો.

આ રીતે આપ્યો હત્યાને અંજામ
હવે બાળકની સાર સંભાળ રાખવા માટે મમતા તૈયાર નહોતી અને તે તેનો કાંટો દૂર કરવા માંગતી હતી. એટલે તેણે તેના કેટલાંક સગા સંબંધીઓને અનાથ આશ્રમ વિશે પણ પૂછ્યું હતું. જેથી તે છૂટકારો મેળવી શકે. પરંતુ મમતા ધીરજ ગુમાવી બેઠી હતી. 13 ઓગસ્ટના રોજ તેણે બાળકનું માથુ વારંવાર જમીન પર પછાડીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો, એવું પોલીસે જણાવ્યું છે. જ્યારે અરુણ ભોલે ઘરે આવ્યો તો મમતાએ એવો દાવો કર્યો કે બીમારીના કારણે બાળકનું મોત થયું છે. અરુણ ભોલેએ પોલીસને એવું જણાવ્યું કે, બાળકના શરીર પર કોઈ પણ જાતની ઈજાના નિશાન નહોતા. જેથી તેને પણ કોઈ શંકા ન ગઈ કે તેના બાળકની હત્યા થઈ છે, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે કે માથામાં ઈજા પહોંચવાના કારણે બાળકનું મોત નીપજ્યું હતું. જો કે, આ કેસમાં પોલીસે અરુણ અને મમતાની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *