પ્રશ્ન : હું એક વર્કિંગ વુમન છું. હું સતત વ્યસ્ત રહું છું. મારા પતિ મારી સ્થિતિ સમજે છે અને આ કારણે મને ઘરકામમાં હંમેશા મદદ કરે છે. અત્યાર સુધી એકલા હતા ત્યાં સુધી કોઇ ખાસ સમસ્યા નહોતી પણ મારા સસરાના અવસાન પછી મારા સાસુ અમારી સાથે રહેવા આવ્યા છે અને તેમને મારા પતિ મને ઘરકામમાં મદદ કરે એ બિલકુલ નથી ગમતું. તેમની આવી માનસિકતાને કારણે અમારા ઘરમાં વાતાવરણ તંગ રહે છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન કરવા માટે મારે શું કરવું જોઇએ? એક મહિલા (રાજકોટ)
ઉત્તર : પુરુષોનું કામ પૈસા કમાવી લાવવાનું અને સ્ત્રીઓનું કામ ઘર ચલાવવાનું. આવી બીબાંઢાળ માનસિકતામાંથી આજનો પુરુષ બહાર આવી ગયો છે. પત્ની વર્કિંગ હોય કે ન હોય, ઘરનાં કેટલાંક કામોની જવાબદારી પુરુષો હોંશે-હોંશે ઉપાડી લે છે. ઘરનાં કામોમાં મદદ કરવાથી પરિવાર સાથે વધુ સારું તાદાત્મ્ય કેળવી શકે છે. સમય જેમ-જેમ આગળ વધે છે તેમ-તેમ સમાજ અને લોકોના વિચારોમાં ફરક આવે છે.
આનું મોટું ઉદાહરણ એટલે પરિવારમાં પુરુષની ભૂમિકા. આજથી આશરે 70-80 વર્ષ પહેલાં પુરુષોની જવાબદારી ઘરમાં કમાયેલા પૈસા આપવા સુધી જ સીમિત હતી, પણ હવે આ આખી સમાજ-વ્યવસ્થા બદલાઈ ગઈ છે. પહેલાં ઘરની સ્ત્રીઓ એક ગૃહિણી તરીકે માત્ર ઘરનાં કામકાજ સંભાળતી હતી, પણ હવે જેટલી ફ્રીડમથી વ્યવસાયિક ક્ષેત્રે અને બહારનાં કામોમાં પાવરધી થવા લાગી છે એટલી જ મુક્તતાથી પુરુષોએ પણ ઘરનાં કામોને પોતાની જવાબદારી ગણીને સ્વીકારી લીધાં છે.
જોકે પરિવારના વડીલો માટે આ ફેરફારનો સ્વીકાર જ્યારે થોડો મુશ્કેલ બને છે ત્યારે આ સ્થિતિ ઉભી થાય છે. તમે અને તમારા પતિ મળીને તમારા સાસુને સમજાવી શકો છો કે ઘરની સ્ત્રીનું આ બધે પહોંચી વળવું ઘણી વાર સમયના દૃષ્ટિકોણથી અઘરું હોય છે તેથી આજની ફાસ્ટ લાઇફમાં પુરુષનું ઘરની સ્ત્રી સાથે ઊભા રહી કામ કરાવવું એ સમયની માગ છે.
તમે તમારા સાસુને સમજાવામાં તમારા પતિની મદદ પણ લઇ શકો છો. બની શકે કે માતા તરીકે સાસુ તમારા પતિની વાતને વધારે સારી રીતે અને હકારાત્મક લાગણીથી સમજી શકે. જો તમારા પતિ ઘરમાં કામ કરાવે છે તો તમે પણ તમારા પતિને ઘરનો આર્થિક બોજ ઉઠાવવાામાં મદદ કરો છો એ હકીકત તમારા સાસુ સમજી જશે તેમની માનસિકતા ચોક્કસ બદલાશે.
પ્રશ્ન : મેં મારા પ્રેમી સાથે અનેક વાર સાથ માણ્યો છે. એનું કહેવું છે કે આપણા લગ્ન થવાના હોવાથી મારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ મને ડર લાગે છે કે જો કંઇ અજુગતું બન્યું તો? મારે એને કેવી રીતે સમજાવવો? એક યુવતી (રાજપીપળા)
ઉત્તર : પહેલી વાત તો એ કે આમાં માત્ર તમારો પ્રેમી જ નહીં, તમારો પણ દોષ છે કેમ કે આપણે ત્યાં લગ્ન પહેલાં શારીરિક સંબંધ માણવાનું ઉચિત મનાતું નથી, ત્યારે તમે તો એની સાથે અનેક વાર સંબંધ માણ્યો છે. જો એ એમ કહેતો હોય કે તમારાં બંનેના લગ્ન થવાના હોવાથી સાથ માણવામાં કંઇ વાંધો નથી અને તમે એની વાત માની લેતાં હો તો બીજું કંઇ કહેવા-કરવાનું રહેતું જ નથી.
તમને ચિંતા થાય એ સમજી શકાય એમ છે કે કંઇ અજુગતું બન્યું તો સ્વાભાવિક રીતે જ દુનિયા અને ઘરના લોકો તમારો જ વાંક કાઢવાના. તમે એને સમજાવો અને પહેલાં લગ્ન કરી લેવા માટે તૈયાર કરો. તમારું ભવિષ્ય તમારા વર્તમાન પર આધારિત છે. તમે જે કંઇ પણ કરો છો એની અસર ચોક્કસપણે તમારા આવનારા ભવિષ્ય પર પડે છે. તમે એક પણ વાર વિચાર્યું છે કે જો તમારો પ્રેમી તમારી સાથે લગ્ન કરવાની ના પાડી દેશેે તો તમે શું કરશો? તમારે વાસ્તવિકતાની જમીન પર રહીને મક્કમ નિર્ણય લેવાની જરૂર છે.