પ્રશ્ન : મારી પત્નીની વય 48 વર્ષની છે. તેના શરીરમાં નવા ફેરફાર થઇ રહ્યા છે. તેને ઘણા બધા દિવસો સુધી માસિક સ્ત્રાવ આવે છે. તેની ડોક્ટરે જણાવ્યું છે કે તેનું મેનોપોઝ નજીકમાં છે એટલે આવા પરિવર્તન આવી રહ્યાં છે. મારી પત્નીનો સ્વભાવ ચીડિયો થઇ ગયો છે અને મોટી સમસ્યા એ છે કે તેનો જાતીય જીવનમાંથી રસ સાવ ઊડી ગયો છે. હું તેની સમસ્યા અને લાગણી સમજી શકું છું પણ આનો ઉકેલ શું છે? આવું કેટલા સમય સુધી ચાલશે? એક પુરુષ (નડિયાદ)
ઉત્તર : તમે તમારી પત્નીની લાગણી સમજો છો એ વાત સારી છે. જ્યાં સુધી પત્નીની આ સમસ્યાનો ઉકેલ નથી આવતો ત્યાં સુધી તમારે તેને જાતીય જીવન માટે કોઈ જ દબાણ ન કરવું જોઈએ. મેનોપોઝ દરમિયાન આવતા પરિવર્તનને કારણે ભારે નબળાઇ આવી જાય છે. આ નબળાઈમાં તેની પાસેથી જાતીય જીવનમાં સહકારની અપેક્ષા રાખવી યોગ્ય નથી. જાતીય જીવન માણતી વખતે બંને પાત્રોને આનંદ આવે એ જરૂરી છે.
જો તમારા પત્નીને વધારે પડતો માસિક સ્ત્રાવ થતો હોય તો એને મેનોપોઝની શરૂઆત હોવાનું ધારીને બેસી ન રહેવાય. આ સમસ્યા હોય તો તમારી પત્નીની પેડુની સોનોગ્રાફી તેમ જ લોહીની તપાસ કરાવવી જરૂરી છે. એનાથી સમસ્યા કઈ દિશાની છે એ ખબર પડશે. જો તમે છેલ્લાં બે વર્ષમાં પેપ સ્મીઅર ટેસ્ટ ન કરાવી હોય તો એ પણ કરાવવી જરૂરી છે. આ બધી જ તપાસ નોર્મલ આવે અને છતાં માસિક વધુ વહેતું હોય તો સારા ગાયનેકોલોજિસ્ટને મળીને એક ખાસ પ્રકારની આંકડી આવે છે એ પહેરાવીને માસિકસ્રાવ ઘટાડવાની સારવાર કરવી જોઈએ.
પ્રશ્ન : શું રોજ સવારે હૂંફાળું પાણી પીવાથી કોઇ ફાયદો થાય છે ખરો? એક યુવતી (સુરત)
ઉત્તર : સવારે હૂંફાળું પાણી પીવાથી ચોક્કસ ફાયદો થાય છે. ગરમ પાણી શરીરને અંદરથી સાફ કરે છે. જો કે સવારે હૂંફાળું પાણી પીવાથી શરીરના બધા ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે. અને શરીરની સંપૂર્ણ સિસ્ટમ સાફ થઇ જાય છે. સવારના સમયે કે પછી દરેક ભોજન બાદ એક ગ્લાસ હૂંફાળાં પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ચરબી ઓછી થાય છે. લીંબુમાં પેકટિન ફાઇબર હોય છે જે વારંવાર ભૂખ લાગતી રોકે છે. જો ગળામાં પીડા કે ટોન્સિલ થઇ ગયા હોય તો હૂંફાળું પાણી પીઓ.
જો તમે હેલ્થ માટે સજાગ છો તો તમારે ખાસ કરીને અત્યારે કોરોના મહામારીમાં ગરમ પાણી પીવાનું રાખવું જોઈએ. તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે. ગરમ પાણી અનેક રોગને દૂર કરે છે સાથે તમારું મેટાબોલિઝમ પણ સારું રાખે છે. ગરમ પાણી પાચનક્રિયાને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે. જે લોકોને ગેસની સમસ્યા રહે છે તેઓ જમ્યા પછી નિયમિત એક કપ ગરમ પાણી પીવે તો તેમને ફાયદો થાય છે. આમ કરવાથી પાચનને લગતી સમસ્યા ક્યારેય નથી થતી. ગરમ પાણી પીવું વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને જે લોકોના વાળ ખરતા રહે છે તેમણે ગરમ પાણી પીવું જ જોઇએ. ગરમ પાણીનું નિયમિત રીતે સેવન કરવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે અને સાથે સાથે વાળ પર ચમક પણ આવે છે.
પ્રશ્ન : મારી વય 30 વર્ષ છે. હું ફ્રન્ટલાઇન વર્કર હોવાથી મેં હાલમાં જ કોરોનાની રસી લીધી છે. મારે એ જાણવું છે કે શું રસી લીધા પછી જાતીય સંબંધ બાંધવો સલામત છે? એક યુવતી (વડોદરા)
ઉત્તર : કોરોના વાયરસની રસી લીધા પછી શું કરવું અને શું ન કરવું તે અંગે આજકાલ ઘણી વાતો થઈ રહી છે અને રસી લીધા પછી જાતીય સંબંધ બાંધવો કે નહીં એ વિશે જાતજાતની ચર્ચા ચાલી રહી છે આ વિશે આરોગ્ય મંત્રાલય દ્વારા કોઈ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી, પરંતુ તબીબી નિષ્ણાતો લોકોને તેના પર થોડી સાવચેતી રાખવા સલાહ આપી રહ્યા છે. નિષ્ણાતો સૂચવે છે કે રસીનો બીજો ડોઝ લીધા પછી પુરુષો અને સ્ત્રીઓએ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો જોઈએ અને આ દરમિયાન કુટુંબિક આયોજન ટાળવું જોઈએ.
નિષ્ણાતનું માનવું છે કે રસીનો બીજો ડોઝ લીધા પછી પુરુષો અને સ્ત્રીઓએ ઓછામાં ઓછા 2થી 3 અઠવાડિયા સુધી કોન્ડોમ જેવા ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો જોઈએ કારણ છે કે જાતીય સંબંધદરમિયાન બોડી ફ્લૂઇડ્સ એકબીજાનાં સંપર્કમાં આવે છે. એક અભ્યાસ પછી તારણ નીકળ્યું છે કે જેમને રસી અપાય છે તેઓએ 3-6 મહિના સુધી પાર્ટનર સાથે ડાયરેક્ટ જાતીય સંબંધ ટાળવો જોઇએ. આ તારણને હજી સત્તાવાર સમર્થન નથી મળ્યું.