પ્રશ્ન : હું 24 વર્ષીય યુવતી છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનની સાઇઝ મને નાની લાગે છે અને મને ડર છે કે આના કારણે મારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી થશે. મારા સ્તન સુડોળ અને આકર્ષક લાગે છે એ માટે કોઇ ઘરગથ્થુ ઉપાય હોય તો જણાવવા વિનંતી. એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : સ્ત્રીઓનાં સૌંદર્યનું એક મહત્ત્વનું પરિબળ સ્તનસૌંદર્ય છે. દરેક યુવતીની ઇચ્છા હોય છે કે તેનાં સ્તન સુડોળ અને સ્વસ્થ હોય. કેટલાક કારણોસર ઘણી યુવતીઓનાં સ્તનનો આકાર ખૂબ નાનો હોય છે. સ્તનનું કદ મોટાભાગે આનુવંશિક હોય છે અને કોઇ કોસ્મેટિક સર્જરી વગર એમાં મોટો ફેરફાર કરવાનું શક્ય નથી. જોકે એવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જેને અમલમાં મૂકવાથી સ્તનસૌંદર્યમાં ચોક્કસ વધારો કરી શકાય છે. ઓલિવ ઓઇલથી સ્તન પર દિવસમાં બે વાર માલિશ કરવાથી એ વિકસિત થવા માંડે છે.
રોજ 3-4 કળી લસણ ખાવાથી બ્રેસ્ટનું ઢીલાપણું દૂર થાય છે અને તે દૃઢ બને છે. વડનાં ઝાડની લટકતી ડાળીને સૂકવીને અને પછી પાણી સાથે વાટીને એનો બ્રેસ્ટ પર લેપ કરવાથી સ્તન પુષ્ટ અને કડક થઈ જાય છે. દાડમની છાલ વાટીને સ્તન પર સતત સાત દિવસ સુધી સૂતાં પહેલાં લગાવવાથી ઢીલાં સ્તનની સમસ્યા દૂર થાય છે. આ સિવાય સ્તન પર નિયમિત રીતે ગરમ અને ઠંડાં પાણીનો શેક કરવાથી પણ સારું પરિણામ મળે છે. કસરત પણ સ્તનને સુડોળ બનાવે છે.
આ માટે રોજ માત્ર 5 મિનિટ કસરત કરો. આ કસરતમાં પ્રેશર અને પામ એક્સરસાઈઝનો સમાવેશ કરવો જોઇએ. તમારી બ્રાની ખરી સાઈઝ પણ સ્તનનાં સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તમારા કપ સાઈઝને ફિટ થતી બ્રા પહેરો. તમારી બ્રાના સ્ટ્રેપ્સ પણ વ્યસ્થિત અને આરામદાયક હોવા જોઈએ. આહાર પણ તમારા સ્તનનાં સ્વાસ્થ્ય પર અસર કરે છે અને એ માટે ખોરાકમાં ફાઈબર અને પ્રોટીનનો સમાવેશ કરો. ઓટ અને બ્રાઉન રાઈસનો પણ આહારમાં સમાવેશ કરી શકો છો. આનાથી પણ ફાયદો થશે.
પ્રશ્ન : મારી વય 37 વર્ષની છે અને મેં હમણાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું છે. મારે એ જાણવું છે કે આ ઓપરેશનના કેટલા દિવસ પછી જાતીય સંબંધ બાંધી શકાય? એક મહિલા (અમદાવાદ)
ઉત્તર : સામાન્ય રીતે સ્ત્રીના માસિક આવવાનાં પહેલા 14 દિવસમાં આ ઓપરેશન કરવામાં આવે છે. જેથી જ્યારથી ઓપરેશન થાય ત્યારથી જ મોટે ભાગે બીજા ગર્ભનિરોધક સાધનોનો પ્રયોગ જરૂરી રહેતો નથી. બાકી જો તકલીફ ના હોય અને ઇચ્છા હોય તો ઓપરેશનના સાતથી આઠ દિવસ પછી પણ જાતીય સંબંધ રાખી શકાય છે. સ્ત્રી નસબંધી એ સ્ત્રીને ગર્ભવતી થતી અટકાવવા માટે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.
આ માટે એક નાનું ઓપરેશન કરવું પડે છે. આમાં ઓપરેશન દ્વારા સ્ત્રીની ફેલોપિયન ટ્યૂબને બંધ કરવામાં આવે છે અથવા કાપી નાખવામાં આવે છે. હકીકતમાં આ ટ્યૂબ દ્વારા જ ઇંડાં અંડાશયમાંથી ગર્ભાશય સુધી પહોંચે છે. નસબંધી કરાવ્યાં પછી ચેકઅપ માટે ડોકટર પાસે જવું જરૂરી છે અને ડોક્ટર દ્વારા આપવામાં આવતી દવાઓનો કોર્સ પૂર્ણ કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઓપરેશન પછી ઓછામાં ઓછા 7 દિવસ સુધી શારીરિક સંબંધો બનાવવાનું ટાળો. શારીરિક સંબંધ બાંધવાના મામલે ડોક્ટરની સલાહ લઇને જ કોઇ નિર્ણય લો.