વહુના તાતા તીરે કિરીટભાઈને વિચારતા કરી મૂક્યા હતા. પત્ની સાથે વરસો સુધી દુર્વ્યવહાર બદલ ધીમે-ધીમે એમને પસ્તાવો થવા માંડયો હતો. વાસતીબેનને વરસો સુધી ઘરમાં એકલા પાડી દેનાર કિરીટભાઈ હવે પોતે પણ એકલા પડી ગયા. દીકરાને અને એની વહુને હવે એમની કોઇ જરૂર નહોતી રહી. એટલે તેઓ પત્ની તરફ ઢળ્યા
‘વાસંતી, આવતી કાલથી મારા માટે રાત્રે ભાખરી ગરમ રાખવાની જરૂર નથી. સાંજે તારી અનુકૂળતાએ ભાખરી કરીને મૂકી દેવી. સવારે તો હું ગરમ રસોઈ જમીને જાઉં છું. પાછો રાત્રે બધુ ગરમ જ જમવાનો આગ્રહ શા માટે રાખવો?’ કિરીટભાઇએ ડાઇનિંગ ટેબલ પરથી ઊભા થતા ટકોર કરી. કિચનમાં ઢાકોઢૂંબો કરતા વાસંતીબેન પતિની વાત સાંભળી રહ્યા હતા. એમને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો. છેલ્લા ૨૮ વરસથી સવારના નાસ્તાથી માંડી રાતના ડિનર સુધી બધુ ગરમ જ ખાવાનો આગ્રહ રાખનાર પતિદેવ આજે એકાએક પત્નીને રસોડામાં થોડી રાહત આપવાની વાત શા માટે કરતા હતા એ વાસંતીબેનને સમજાયું નહીં. ઉલ્ટાની એમને શંકા ગઇ કે થોડી રાહત આપીને કિરીટભાઈ કદાચ કોઇ મોટું અપમાન કરવાની તૈયારી કરી રહ્યા હશે. પછી તેમને પોતાની જાત પર જ હસવું આવ્યું. ‘નાનું શું કે મોટું શું- દરેક પ્રકારના અપમાન અને ઉપેક્ષા આટલા વરસોમાં મને કોઠે પડી ગયા છે.’હવે તો પતિના મોઢેથી કડવા વેણ સાંભળીને એમને રડવું પણ ક્યાં આવે છે કે દુખ પણ ક્યાં થાય છે? આ ઘરમાં પરણીને આવ્યા ત્યારથી આ સિલસિલો જારી છે. વાસંતીબેનથી એક લાંબો નિસાસો નખાઇ ગયો.
‘વસુ, કિચનમાં ક્યારની શું કર્યા કરે છે? તારું કામ પત્યું હોય તો ઘડીક અહીંયા આવીને બેસ…’ ફરીથી કિરીટભાઈનો મીઠો લહેકો સંભળાયો. વરસના વચલે દહાડે ક્યારેક પ્રેમ ઉભરાઇ આવે ત્યારે તેઓ વાસંતીબેનને ‘વસુ’ કહીને બોલાવતા. વાસંતીબેન માટે આ બીજુ આશ્ચર્ય હતું. રોજ રાત્રે જમ્યા બાદ ટીવીની બિઝનેસ ચેનલ પર શેરના ભાવ જોવા ટેવાયેલા કિરીટભાઇ એ વખતે કોઇ પણ પ્રકારની ખલેલ ચલાવી ન લેતા. વાસંતીબેનથી એ દરમ્યાન કાંઇ ભૂલથી પણ બોલાઇ જતુ તો એમનું આવી બનતું. એટલે તેઓ રોજ રાત્રે કિચનમાં કામ પતી ગયા બાદ સીધા બેડરૂમમાં જ સૂવા ચાલ્યા જતા. વરસોથી પતિની હાજરીમાં ટીવી પર કોઈ સારી સામાજિક સિરીયલ જોયાનું પણ એમને યાદ નહોતું.
છતાં કિરીટભાઇનો ગુસ્સો વહોરવાને બદલે વાસંતીબેને ડ્રોઇંગ રૂમમાં જઈને સોફા પર એમની સાથે બેસવાનું ઉચિત માન્યું. કિરીટભાઇએ થોડીક વાર રિમોટથી ટીવીની ચેનલો ફેરવી પણ પછી રિમોટ વાસંતીબેનના હાથમાં મૂકી દીધું, ‘આજે તને જે ઇચ્છા થાય એ સિરીયલ કે પ્રોગ્રામ જો. રાધર, આપણે બન્ને સાથે બેસીને તારી ચોઇસનો પ્રોગ્રામ જોઇએ,’ એટલું કહીને કિરીટભાઇએ પહોળું સ્મિત ફરકાવ્યું, પણ વાસંતીબેનના ચહેરા પર ઝડપથી સ્મિત આવ્યું નહીં.
એમણે ‘બાલિકા બધુ’ સિરીયલ પર રિમોટ સ્થિર કરી દીધું. પછી ગંભીરતાપૂર્વક સિરીયલ જોતા હોય એવો ડોળ કર્યો. જોકે એમનું મન તો પતિના એકાએક બદલાયેલા વલણ વિશે વિચારવામાં પડયું હતું. સિરીયલ પૂરી થઇ એટલે વાસંતીબેને ટીવી ઓફ્ફ કરી ચાલતી પકડી. ત્યાં જ પાછળથી કિરીટભાઈનો અવાજ સંભળાયો, ‘વસુ, થોડી વાર મારી પાસે બેસ તો ખરી, હજુ તો દસ જ વાગ્યા છે. સૂવાની આટલી શું ઉતાવળ છે? મારે તારી સાથે થોડી વાત કરવી છે…’
‘ઠીક છે, બોલો, ‘ વાસંતીબેને પતિની બાજુમાં બેઠક લેતા કહ્યું.
‘વસુ, તારી ઘણાં વખતથી ઇચ્છા છેને કે આપણે વૈષ્ણોદેવીના દર્શને જઇએ? તો ચાલ, આપણે વૈષ્ણોદેવી ઉપડી જઇએ. ત્યાંથી શ્રીનગર પણ ફરી આવીશું અને વળતા, સુવર્ણ મંદિર જોતા આવીશું, કેમ…?’
‘વાહ, તમે તો એકદમ લાંબી ટુરનું વિચારી નાખ્યું! પણ તમારા ઓફિસના કામ અને શેરબજારનું પછી શું થશે? શેરોના ભાવમાં મોટી વધઘટ થઇ જાય અને તમને મોટું નુકસાન થઇ જાય તો?’
‘છેલ્લા ત્રીસ વરસથી ઓફિસની અને શેરબજારની જ ચિંતા કરી છે. હવે મારે તારી ઇચ્છાઓ પૂરી કરવી છે. બોલ ક્યારે નીકળવું છે, વૈષ્ણવોદેવી જવા?’
‘રહેવા દો હવે. મારે ક્યાંય નથી જવું. જુવાનીમાં પગ ચાલતા હતા ત્યારે ક્યાંય લઇ જવાનું કદી ન સૂઝ્યું અને હવે જ્યારે બે માળ ચડતા હાંફી જવાય છે ત્યારે વૈષ્ણોદેવીનો પહાડ ચડવો છે!’
‘તૂ સમજી નહીં, આપણે કયા પહાડ ચઢીને માતાજીના દર્શન કરવા છે. બે ડોલીવાળા કરી લઇશું. તને જરાય તકલીફ નહીં પડે…’
‘મારે કોઇની ડોલીમાં બેસીને માતાજીના દર્શન નથી કરવા. એ તો પાપમાં પડવા બરાબર છે. બિચારા ડોલીવાળા ડોલી ઉંચકીને ઉપર ચડતા કેવા ધમણની જેમ હાંફતા હોય છે! મારે નથી કરવી એવી જાત્રા…’ વાસંતીબેને છણકો કરીને ચાલતી પકડી. એમનો મિજાજ જોઇને કિરીટભાઇએ એમને રોકવાનું મુનાસિબ ન ગણ્યું. એમના ચહેરા પર એક હળવું કટાક્ષભર્યું સ્મિત ફરકી ગયું. પરંતુ વાસંતીબેનની આવી વર્તણૂંકથી એમણે કોઇ દુખ કે ખેદ ન અનુભવ્યો એને બદલે કિરીટભાઈ થોડું આત્મનિરીક્ષણ કરવા પ્રેરાયા: ‘આ ઘરમાં વાસંતી પરણીને આવી ત્યારથી હું એની ઉપેક્ષા કરતો આવ્યો છું. એનું નાનું-મોટું અપમાન કરવાની મેં એકેય તે જતી કરી નથી. ત્યારે આજે એ મારી વાત નકારી કાઢે તો એમાં નવાઇ શું છે? મને મારા કર્મોનો બદલો પત્નીની આવી ઉપેક્ષાથી જ મળવો જોઇએ…’ આવું મનોમંથન કરતા કિરીટભાઇ એકાએક ભૂતકાળમાં સરી પડયા.
અઠ્ઠાવીસ વરસ પૂરા થવા આવ્યા હતા એમના લગ્નજીવનને પણ પતિ-પત્નીએ આટલા વરસોમાં ક્યારેય સાચા અર્થમાં સહવાસ માણ્યો નહોતો. બે શરીર એકબીજા સાથે રહે એટલે થોડો સહવાસ સ્થપાઇ જાય છે! અને ખરું પૂછો તો કિરીટભાઇને ક્યાં વાસંતીબેન સાથે લગ્ન કરવાની ઇચ્છા હતી? એમને તો કોલેજમાં પોતાની સાથે ભણતી અર્ચના સાથે લગ્ન કરવા હતા. કિરીટભાઇ હકીકતમાં પાંચ વરસથી અર્ચનાના પ્રેમમાં હતા, પરંતુ પોતાના કડક સ્વભાવના પિતા કુંદનલાલને એ કહેવાની એમની હિંમત જ નહોતી ચાલતી. ‘આજે કહીશ, કાલે કહીશ’ એવો સંકલ્પ કરવામાં મહિનાઓ અને વરસો વીતી ગયા… અને એક દિવસ કુંદનલાલે જ્ઞાાતિમાંથી વાસંતી નામની સુશિક્ષિત અને ખાનદાન કુટુંબની કન્યા જ એમની સામે લાવીને બેસાડી દીધી. કિરીટભાઇએ પિતા સમક્ષ હમણાં લગ્ન નહીંં કરવાના ડઝનેક કારણો ગણાવ્યા પણ એકેયવાર ભુલેચૂકે એવું કહી ન શક્યા કે હું બીજી છોકરીના પ્રેમમાં છું.
કુંદનલાલે બીજી બધી બાબતોની જમે કિરીટભાઈના લગ્ન માટે પણ પોતાનો વીટો વાપર્યો અને લાચાર કિરીટભાઇએ વાસંતીબેન સાથે ફેરા ફરી લેવા પડયા. કિરીટભાઈએ પિતાની ઇચ્છાને વશ થઇ લગ્ન કરી લીધા હતા, પણ એમનો પુરુષ તરીકેનો અહમ ઘવાયો હતો. એનો બદલો પિતા સામે તો લઇ નહોતા શકતા. એટલે નવી પરણીને આવેલી વાસંતી સામે એમણે વેર વાળવા માંડયું. લગ્નને હજુ તો માંડ અઠવાડિયું થયું હતું, ત્યાં તેઓ વાતવાતમાં વાસંતીબેનને હડધૂત કરવા લાગ્યા. એમના દરેક કામમાં કાંઇને કાંઇ ભૂલ કાઢીને બધાની વચ્ચે અપમાન કરવાની કિરીટભાઇએ જાણે એક પ્રકારની ટેવ જ કેળવી લીધી. કિરીટભાઇએ એમબીએ કર્યું હતું. તો વાસંતીબેન એમ.એ. (ઓનર્સ) હતા. તેઓ ધારત તો પતિના દરેક અપમાનનો જડબાતોડ જવાબ આપી શકત. પરંતુ ઘરડા મા-બાપ ન્યાતમાં વગોવાશે એવી બીકે તેઓ ચૂપ જ રહ્યા. પતિના કડવા વેણ સાંભળીને એક વાર સિવાઇ ગયેલા એમના હોંઠ પછી સિવાયેલા જ રહ્યા. કુંદનલાલને પુત્ર દ્વારા વાતવાતમાં થતી પુત્રવધુની અવહેલના જોઇ ગુસ્સો આવતો પણ પરિવારની શાંતિ ખાતર એમણે પણ મૌન રહેવામાં જ શાણપણ માન્યું.
લગ્નના અઢી વરસ બાદ વાસંતીબેને સરસ મજાના પુત્રને જન્મ આપ્યો. પરિવારમાં આનંદ-આનંદ થઇ ગયો. કિરીટભાઇ પણ ખુશીથી ઝૂમી ઉઠયા, પણ વાસંતીબેન પોતાની ખુશી કોઇ સમક્ષ દર્શાવી ન શક્યા. એમને કદાચ એ વાતનો અધિકાર જ નહોતો. અરે, કિરીટભાઇએ એમને ખોટે પણ દીકરાનું નામ શું રાખવું છે એવું પૂછ્યું નહીં. ગોર મહારાજ પાસે પુત્રની રાશિ કઢાવી પોતે જ એનું નામ પાડી દીધું – વિજય.
શરૂઆતથી જ કિરીટભાઇએ પુત્ર વિજય પર પોતાનો એકાધિકાર જમાવી દીધો. તેઓ ઘરે હોય ત્યાં સુધી વિજય એમના ખોળામાં જ હોય. રાત્રે એ રડે તો પણ કિરીટભાઇ જ ઊઠીને એનું બાળોતિયું બદલી નાખતા. દીકરાને પેટ ભરાવવા સિવાય બીજી કોઇ જવાબદારી વાસંતીબેનના ભાગે આવતી નહીં. છતાં તેઓ ઘરની શાંતિ ખાતર ચૂપ રહ્યાં.
વિજય સ્કૂલે જતો થયો એટલે કિરીટભાઇનો એની સાથેનો સંબંધ વધુ ગાઢ થયો. મોટી મલ્ટીનેશનલ કંપનીમાં જનરલ મેનેજર (સેલ્સ) હોવા છતાં તેઓ વિજય માટે સમય કાઢીને રોજ એને ભણાવવા પણ બેસતા. વિજયને સ્કૂલમાં રજા હોય ત્યારે બાપ-દીકરો એકલા જ કારમાં બેસી ફરવા નીકળી પડતા. વાસંતીબેનની આંખોમાં એમને જતા જોઇને એકલતા થોડી વધુ ઘેરી બનતી. છતાં મનમાં એક વાતનો સંતોષ હતો કે પિતાના માર્ગદર્શન હેઠળ પુત્રને સારું શિક્ષણ મળી રહ્યું હતું. પહેલાં ધોરણથી જ વિજય ક્લાસમાં એકથી ત્રણની અંદર જ રેન્ક લાવતો. એસએસસીમાં પણ ૯૬ ટકા માર્કસ સાથે એ પોતાની સ્કૂલમાં જ નહીં, આખા વોર્ડમાં પહેલો આવ્યો હતો.
૨૩ વરસની ઉંમરે તો વિજય સીએ પણ થઇ ગયો. ફાઇનલ યરમાં એને ગોલ્ડમેડલ પણ મળ્યો હતો અને ઠેર-ઠેર એનું બહુમાન પણ થયું. આ બધુ જોઇ વાસંતીબેનના હૈયામાં મમતા ઊભરાતી પણ પોતાની લાગણી વ્યક્ત કરવાનો એમને હક નહોતો. એકનો એક પુત્ર કદી બે ઘડી મા પાસે બેસતો નહીં કે એના ખોળામાં માથું રાખી સૂતો નહીં. વિજયને મન તો એના પિતા જ સર્વસ્વ હતા. એ પણ યુવાન થયા બાદ કિરીટભાઈની જેમ વાસંતીબેનને ધુત્કારવાનું ચૂકતો નહીં. પતિની અવહેલનામાં હવે પુત્રનો તિરસ્કાર ભળ્યો હતો. વાસંતીબેન સમસમીને રહી જતા.
કિરીટભાઈની અનિચ્છા છતાં વિજયે એક મલ્ટીનેશનલ કંપનીનું પંદર લાખ રૂપિયાનું પેકેજ સ્વીકારી બીજા શહેરમાં જોબ લઇ લીધી. કિરીટભાઈને પુત્રને પોતાનાથી અળગો કરવાની લગીરે ઇચ્છા નહોતી. વિજય તો એમના જીવનની ધરી હતી અને એ જ જો ઘર છોડીને જતો રહે તો તેઓ કોના સહારે જીવે? પરંતુ પુત્રની લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ સામે કિરીટભાઈએ નમતુ જોખવું પડયું.
વિજય ઘરથી દૂર થયો. હવે એને કિરીટભાઈની દોરવણીની જરૂર નહોતી. એટલે એ પોતાના નિર્ણયો જાતે લેતો થયો. આવા જ નિર્ણયરૂપે એણે ઓફિસમાં પોતાની સાથે જોબ કરતી સુગંધા સાથે મેરેજ કરવાનું નક્કી કર્યું. રોજ સાંજે કે રાત્રે ફોનમાં પોતાની સાથ અચૂક વાત કરતા પિતા કિરીટભાઈને એક વાર એણે પોતાનો નિર્ણય કહી પણ દીધો. વિજય અને સુગંધા લગ્નમાં સાજન-માજન ભેગુ કરી ખોટો ખર્ચ કરવામાં માનતા નહીં એટલે એમણે રજિસ્ટ્રારની ઓફિસમાં જઇ સિવિલ મેરેજ કરી લીધા. કિરીટભાઈ અવાચક થઇ ગયા. પિતાની આગંળી પકડી મોટો થયેલો પુત્ર હવે મનમાની કરતો થઇ ગયો હતો.
કિરીટભાઈ દીકરા અને વહુનું મોઢું જોવા પણ રાજી નહોતા, પરંતુ વાસંતીબેને એમને સમજાવ્યા, ‘છોરું કછોરું ભલે થાય, પણ માવતરને કમાવતર થવાનું શોભે નહીં. વિજય અને સુગંધાને થોડા દિવસ માટે અહીં બોલાવો અને એમના માનમાં એક રિસેપ્શન ગોઠવી એમના લગ્નની એનાઉન્સમેન્ટ કરી નાખો. સમાજમાં રહીને સમાજના નિયમો તો પાળવા જ પડશે.’ જીવનમાં પહેલી વાર કિરીટભાઇએ પત્નીની વાત શાંતિથી સાંભળી અને એના પર ચૂપચાપ અમલ પણ કર્યો.
સુગંધા કિરીટભાઈની ધારણાથી વિરુદ્ધ એક ખાનદાન પરિવારની સંસ્કારી યુવતિ હતી. વિજય સાથે એ દસેક દિવસ સાસરે રોકાઇ એ દરમ્યાન એણે કિરીટભાઈ અને વાસંતીબેનનું માન જાળવ્યું. થોડા જ દિવસોમાં એ ઘરમાં અને પાડોશમાં પણ બધા સાથે ભળી ગઇ. ખાસ કરીને વાસંતીબેન સાથે એને વિશેષ લાગણી બંધાઈ ગઇ. એટલે સુગંધાનો જવાનો દિવસ આવ્યો ત્યારે વાસંતીબેનની આંખ ભીની થઈ ગઈ. વિજયના ગયા પછી બીજા જ દિવસથી કિરીટભાઈનો એને રોજ સાંજે કે રાત્રે ફોન કરવાનો સિલસિલો ફરી શરૂ થઇ ગયો. એકાદ અઠવાડિયુ તો બધુ રાબેતા મુજબ ચાલ્યું, પણ પછી એકવાર ફોનમાં પુત્રવધુ સુગંધા દ્વારા ધીમા અવાજે બોલાયેલું પણ સ્પષ્ટ સાંભળી શકાતું વાક્ય કાન પર પડતા તેઓ સમસમી ગયા. એમણે સુગંધાને વિજયને એમ કહેતા સાંભળી કે ‘લ્યો, તમારો રૂટિન ફોન આવ્યો. તમને ફોન કર્યા વગર જાણે તમારા પપ્પાનો દિવસ જ પૂરો નથી થતો.’
પછી તો વહુના આવા વાકબાણોનો વધતા ગયા. એક વાર તો સુગંધાએ હદ જ કરી નાખી. કિરીટભાઈએ રૂટિન પ્રમાણે રાત્રે વિજયના સેલફોન પર ફોન કર્યો. વિજયે હજી એમનો કોલ રિસિવ કર્યો ત્યાં બીજા સેલ પર એના બોસનો એસ.એમ.એસ. આવ્યો. પિતા સાથે વાત થંભાવી એ મેસેજ જોવામાં પડયો હતો, ત્યાં સુગંધાએ બોલવાનું શરૂ કર્યું, ‘ડિયર, મને લાગે છે કે તારા ડેડી આપણાં મેરેજમાં પ્રોબ્લેમ સર્જીને ઝંપશે. પોતે તો કદી પત્નીને સારા મોઢે બોલાવી નથી. એટલે હવે દીકરો વહુ સાથે પ્રેમથી રહે એ એમનાથી ઝીરવાતું નથી. એટલે જ તેઓ ફોન પર રોજ તારી સાથે ચોંટેલા રહે છે…’ સુગંધા તો બીજું ઘણું બોલી હશે, પણ કિરીટભાઇએ એ સાંભળ્યું નહીં. પહેલીવાર એમણે પુત્ર સાથેની વાત અધવચ્ચેથી પડતી મૂકી દીધી હતી.
વહુના તાતા તીરે કિરીટભાઈને વિચારતા કરી મૂક્યા હતા. પત્ની સાથે વરસો સુધી દુર્વ્યવહાર બદલ ધીમે-ધીમે એમને પસ્તાવો થવા માંડયો હતો. વાસતીબેનને વરસો સુધી ઘરમાં એકલા પાડી દેનાર કિરીટભાઈ હવે પોતે પણ એકલા પડી ગયા. દીકરાને અને એની વહુને હવે એમની કોઇ જરૂર નહોતી રહી. એટલે તેઓ પત્ની તરફ ઢળ્યા અને ધીમે-ધીમે પોતાની લાગણી પ્રગટ કરવા માંડયા. જોકે, વાસંતીબેનને એમનો બદલાયેલો વ્યવહાર સમજાતો નહોતો. તેઓ હજુ ગડમથલમાં જ હતા ત્યાં એક વાર સવારે સુગંધાનો ફોન આવ્યો. કિરીટભાઈ ઓફિસે ચાલ્યા ગયા હતા. એટલે સાસુ-વહુ નિરાંતે વાતોએ વળગી.