હું નોકરી કરતી અપરિણીત યુવતી છું, મને મારી ઓફિસના એક પરિણીત પુરુષ સાથે પ્રેમ છે. આ પુરુષ તેની પત્ની સાથે છૂટાછેડા લેવાની તૈયારીમાં છે. એ મને પ્રેમ તો કરે છે પરંતુ લગ્ન તેના માતા-પિતાની મરજી મુજબ જ કરવા માગે છે. તેના આ નિર્ણયથી ખૂબ જ દુ:ખી છું. યોગ્ય રસ્તો બતાવવા વિનંતી.
એક યુવતી (મુંબઈ)
વિવાહિત પુરુષના પ્રેમને કારણે સમસ્યા તો ઉદ્ભવે છે જ. તમે આ મામલામાં એટલા નસીબદાર છો કે તમારા પ્રેમીએ તેની ઈચ્છા જાહેર કરી દીધી છે. હવે એ તમારા પર નિર્ભર કરે છે કે તેને ભૂલીને અન્ય યુવક સાથે વિવાહ કરી સંતોષી જીવન જીવવું કે આ સમસ્યા સાથે જ પ્રેમસંબંધ ચાલુ રાખી દુ:ખી થયા કરવું. આ બંનેમાંથી શ્રેષ્ઠ નિર્ણયો કયો છે એ જણાવવાની જરૂર નથી. સમજુ વ્યક્તિને ઈશારો જ બસ છે.
હું શિક્ષિત મહિલા છું. મારા લગ્નને ૧૫ વર્ષ થયા છે. મારે બે સંતાન પણ છે. મારી સમસ્યા એ છે કે મારા પતિને એક અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને આ અંગે મારી ચર્ચા થાય તો મને મારે પણ છે. મારા સાસરિયાં મારી વાત માનવા તૈયાર પણ નથી. કેટલીકવાર તો આત્મહત્યા કરવાનું મન થાય છે. યોગ્ય ઉપાય સુઝાવવા વિનંતી.
એક સ્ત્રી (કલોલ)
તમારી સમસ્યાનો સીધો-સાદો ઉકેલ શક્ય નથી. તે છતાં પણ કેટલાંક વિકલ્પો રજૂ કરું છું. ઘરની શાંતિ અને બાળકોના ભવિષ્ય ખાતર આ પરિસ્થિતિ સ્વીકારી લો અથવા તો પતિને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરો કે બાળકોના પાલનપોષણ તેમજ તમારા મનની શાંતિ માટે નોકરી જરૂરી છે. અંતિમ ઉપાય એ છે કે પતિથી છૂટા થઈ આત્મનિર્ભર બની તમારા બાળકોના ઉજળા ભવિષ્યનો વિચાર કરો. આ ઉપરાંત કોઈ ત્રાહિત વ્યક્તિ સાથે તમારી સમસ્યાની ચર્ચા ન કરો તેમ જ આત્મહત્યાનો વિચાર છોડી દો. તમે દોષી નથી અને આત્મહત્યા જેવું કાયર પગલું બીજું એક પણ નથી.