પ્રશ્ન : મારી દીકરી 18 વર્ષની છે. અત્યાર સુધી તે બહુ ડાહી અને સમજદાર હતી પણ હવે તેનો સ્વભાવ ધીરે ધીરે બદલાવા લાગ્યો છે. તે હવે ઘરકામમાં મદદ કરવાનું ટાળે છેે. મને ઓફિસના કામ માટે રાત્રે મોડું થાય છે તો તેને કેમ રાત્રે બહાર જવાની પરવાનગી નથી એવી પાયા વગરની દલીલ કરે છે. આ છોકરીને કેમ સમજાવવી એની ખબર નથી પડતી. મારે શું કરવું જોઇએ? એક મહિલા (રાજકોટ)
ઉત્તર : તમારી દીકરી તેનાં જીવનના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઇ રહી છે. આ સંજોગોમાં તમારી જવાબદારી થોડી વધી જાય છે. તમે ભલે તમારી દીકરી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખ્યો હોય પણ સંતાનોને માતા-પિતાની પણ જરૂર છે જ.
કાચી માટી જેવાં સંતાનને ઘડાનું સ્વરૂપ આપવા માટે જરૂર પડ્યે ટપારવાનું કામ પણ માતા-પિતા બનીને કરવાનું છે. સંતાન સાથેના સંબંધમાં સંતુલન જાળવવાનું મહત્ત્વનું છે. દીકરી હોય કે દીકરો, બન્નેને તેમની જવાબદારીઓનું ભાન કરાવવું બહુ જરૂરી છે.
સંતાનને આઝાદી આપવાની સાથે સાથે એ વાતનો અહેસાસ કરાવવો જરૂરી છે કે આઝાદી પોતાની સાથે જવાબદારી પણ લાવે છે. સ્વતંત્રતા આપવાની સાથે જો તમે સંતાનોને જવાબદાર ન બનાવો તો ઘણી બધી માનસિક અને વર્તણૂકની તકલીફો થવાની જ. માતા-પિતાની જવાબદારી ત્યારે જ સાર્થક થાય જ્યારે તમે પેરન્ટ્સ તરીકે તેમના માટે શું કરો છો અને કેમ કરો છો એનું મહત્ત્વ પણ સારી રીતે સમજાવી શકો.
પ્રશ્ન : મારા લગ્ન એક વર્ષ પહેલાં માત્ર 21 વર્ષની વયે થઇ ગયા હતા. મારા અને મારા પતિ વચ્ચે આઠ વર્ષનો તફાવત છે. મારા પતિ મને વધારે પડતા મેચ્યોર અને પ્રેકટિકલ લાગે છે. મને લાગે છે કે હું તેમને એક વર્ષ પછી પણ સમજી નથી શકી. હું જાહેરમાં તેમનો હાથ પકડું એ પણ તેમને પસંદ નથી. તેમને બહાર જવાનું નથી ગમતું પણ તેઓ મને ક્યારેય બહાર જવાથી નથી રોકતા. તેમના આ પ્રકારના વર્તનને કારણે હું લગ્નજીવનનાં એક વર્ષમાં જ કંટાળી ગઈ છું. શું કરું? એક યુવતી (વડોદરા)
ઉત્તર : તમારા જેવી પરિસ્થિતિમાંથી અનેક દંપતિ પસાર થતા હોય છે. પતિ અને પત્ની વચ્ચે જ્યારે વયનો તફાવત થોડો વધારે હોય ત્યારે બંનેની વિચારસરણી અલગ હોય એ સ્વાભાવિક છે. તમે આખી પરિસ્થિતિને તમારા દૃષ્ટિકોણથી જ જુઓ છો, પણ ક્યારેક તમારી પતિની નજરે પરિસ્થિતિને મૂલવવાનો પ્રયાસ કરો. તમને જે રીતે પતિનું વર્તન અકળાવે છે એવી જ રીતે તમારાં પતિને પણ તમારા વર્તન અને વિચાર અલગ લાગતા હશે.
તમને જે રીતે તમારાં પતિ વધારે પડતા મેચ્યોર અને પ્રેકટિકલ લાગે છે એવી જ રીતે કદાચ તમારાં પતિને પણ તમારું વર્તન બાલિશ લાગતું હશે. આ સમસ્યાનો ઉકેલ મનમાં વિચારો કરવાથી નહીં આવે પણ તમારે એકબીજા સાથે વાત કરીને એકબીજાની લાગણી જાણવાનો પ્રયાસ કરવો પડશે. તમારા લગ્નને હજી તો એક જ વર્ષ થયું છે. હજી તો તમારે એકબીજા સાથે લાંબી મજલ કાપવાની છે.
તમારો સવાલ વાંચીને લાગે છે કે તમારા અરેન્જ્ડ મેરેજ હશે એટલે કદાચ લગ્ન પહેલાં પણ તમને એકબીજાને સમજવાનો સમય નથી મળ્યો. તમારે હજી તમારા સંબંધને થોડો સમય આપવાની જરૂર છે. સમયની સાથે સાથે લાગણીઓમાં પરિવર્તન આવશે અને તમે જ્યારે એકબીજાની લાગણીઓને સારી રીતે સમજવા લાગશો અને લગ્નજીવનમાં કંટાળાનું સ્થાન આનંદ અને ઉલ્લાસની લાગણી લઇ લેશે.