લોકો ફોનમાં વિડીયો ઉતારવામાં વ્યસ્ત હતા ત્યારે હુસૈન પઠાણ પળવાર પણ વિચાર્યા વિના મચ્છુમાં ફૂદી પડ્યો

GUJARAT

હાલમાં મોરબીના બ્રિજ તૂટી પડવાની હોનારતના સમાચાર અને વિડીયો તથા તસ્વીરો વાયરલ થઈ રહી છે. તેવામાં માનવતાને મહેકાવતી ઘટના પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. મોરબીનો હુસૈન પઠાણ કે જેની હાલમાં સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. તેનું કારણ છે કે તેણે પોતાના જીવની પરવાહ કર્યા વગર મોરબી હોનારતમાં ઘણા લોકોનો જીવ બચાવ્યો હતો.

મોરબીમાં મચ્છુ નદી પર પાંચ દિવસ પહેલા જ ખુલ્લા મૂકાયેલો ઝૂલતો બ્રિજ રવિવારે સાંજના સમયે તૂટી પડ્યો હતો. જેમાં 140 જેટલા લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં બાળકો અને યુવાનોની સંખ્યા વધારે છે.

આ ઘટનાએ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. ગુજરાત સરકારની આકરી ટીકાઓ થઈ રહી છે અને આ બ્રિજના સમારકામ અને જાળવણીનો કોન્ટ્રાક્ટ જે કંપની પાસે છે તેવી ઓરેવા (Oreva) કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.

પોતાના જીવનો વિચાર કર્યા વગર નદીમાં કૂદી પડ્યો હુસૈન પઠાણ
હુસૈન પઠાણ મોરબીનો જ છે અને જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે એક તરફ ઘણા લોકો મોબાઈલ ફોન દ્વારા દુર્ઘટનાને કેમેરામાં કેદ કરવામાં વ્યસ્ત બની ગયા હતા. ત્યારે હુસૈન પઠાણે નદીમાં કૂદકો મારીને લોકોના જીવ બચાવવામાં લાગી ગયા હતા. તેમણે 50 જેટલા લોકોના જીવ બચાવવામાં મદદ કરી હતી.

મોરબી હોનારતમાં 9 લોકોની ધરપકડ
મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં આ બ્રિજનું મેન્ટેનન્સનું કામ જે કંપનીને સોંપાયું હતું તે ઓરેવા કંપનીના મેનેજર પોલીસે દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બારીના ક્લાર્ક મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, પ્રકાશ પરમાર, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહામ અને દેવાંગ પરમારનો સમાવેશ થાય છે.

ધરપકડ કરાયેલા લોકોમાંથી દીપક પારેખ ઓરેવા ટ્રસ્ટના જયસુખભાઈ પટેલના અંગત વ્યક્તિ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ તમામ લોકો સામે આઈપીસીની કલમ 304, 308 અને 114 મુજબ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે સરકારે સ્પેશયલ ટીમ પણ બનાવી છે.

બ્રિજ ખુલ્લો મૂકવા ગાંધીનગરથી આવ્યો હતો ફોન: ઈસુદાનનો આરોપ
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાને આરોપ લગાવતા કહ્યું કે, કલેક્ટરે બ્રિજ ખુલ્લો મૂકવા માટે ના પાડી હતી, પરંતુ ગાંધીનગરથી ફરીથી ફોન આવ્યો હતો. જેથી માનવસર્જિત ઘટના હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. તક્ષશિલા કાંડ સુરતને યાદ કરો. જેમાં આગ લાગ્યા બાદ 20થી વધુ વિદ્યાર્થી હોમાઈ ગયા. જ્યારે હું સુરત ગયો અને પરિવારને મળ્યો ત્યારે ફરીથી મારું કાળજું કંપી ઉઠ્યું. તેમણે કહ્યું કે, અમને ન્યાય નથી મળ્યો. આમ જો દોષિતને સજા ન આપી શકો તો સરકારમાં બેસવાનો તમારો કોઈ અધિકાર નથી. ઈસુદાને વધુમાં કહ્યું કે, કળિયુગ હશે પણ આટલો ઘોર કળિયુગ હશે તેની કલ્પના નહોતી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *