સવાલ : મારી વય 45 વર્ષની છે અને લગ્નને 15 વર્ષ થઇ ગયાં છે. અમને બંનેને ફિઝિકલ સંબંધોમાં વિવિધ પ્રયોગો કરવા ગમે છે. હાલમાં મારા એક મિત્રએ સલાહ આપી છે કે સ્પ્રે વાપરીને સંબંધનો સમયગાળો વધારી શકાય છે. શું એ પ્રયોગ હું કરું તો મને વધારે સારો અનુભવ મળી શકે છે? મને આની આદત પડી જાય એવું તો નહીં થાયને? એક પુરુષ (વડોદરા)
જવાબ : જો તમને શીઘ્રસ્ખલનની સમસ્યા ન હોય તો તમારે એ માટેની દવાઓ શું કામ વાપરવી છે? દવાઓ હંમેશાં એવા સંજોગોમાં વાપરવી જોઈએ જ્યારે તમારું શરીર કુદરતી રીતે સાથ આપી શકે એમ ન હોય.
શીઘ્રસ્ખલન માટેના સ્પ્રે કે જેલી લગાવવાથી ચરમસીમા લંબાય છે, પણ એક વાત સમજવી જરૂરી છે કે એમાં ખરેખર ઉત્તેજના વધારવાના કોઈ જ ગુણ નથી. હકીકતમાં એનાથી સંવેદના બુઠ્ઠી થઈ જાય છે. સંવેદના ઘટવાને કારણે સમાગમ લાંબો ચાલ્યો હોવા છતાં આનંદ નથી વધતો. હકીકતમાં તમે જે આનંદ મેળવવા આ ચીજો વાપરવા પ્રેરાયા છો એ આનંદ ચીજોના વપરાશ પછી મળવાનો નથી.
સવાલ : મારી દીદીનાં બે વર્ષ પહેલાં લગ્ન થયાં છે. મારાં દીદી અને જીજાજી બંનેનો સ્વભાવ બહુ સારો છે પણ આમ છતાં લગ્ન પછી તેમની વચ્ચે ક્યારેક ઝઘડા થાય છે. તેમની હાલત જોઇને તો મને લગ્ન કરવાની જ બીક લાગે છે. હવે ઘરમાં મારા લગ્નની ચર્ચા થઇ રહી છે ત્યારે મને તો એમ થાય છે કે લગ્નથી બચવા માટે ઘર છોડીને જતી રહું. મારે શું કરવું જોઇએ? એક યુવતી (રાજકોટ)
જવાબ : સૌથી પહેલાં તો તમારાં મનમાં લગ્ન વિશે જે કંઇ પણ ધારણા છે એને તટસ્થ રીતે મૂલવવી જોઇએ. કોઇ એક વ્યક્તિ કે પરિસ્થિતિને જોઇને લગ્ન વ્યવસ્થા વિશે કોઇ ખોટી ધારણા બાંધવામાં આવે એ યોગ્ય નથી. હકીકતમાં લગ્ન કોઈ પણ વ્યક્તિના જીવનનો અગત્યનો નિર્ણય ગણાય છે અને કદાચ આ જ કારણસર વ્યક્તિ પ્રેમ કરતાં પહેલાં વિચારે કે ન વિચારે, પણ લગ્ન બંધનમાં બંધાતાં પહેલાં જરૂર વિચારે છે. હકીકતમાં જ્યારે આપણે યુગલો વચ્ચે ઝઘડા જોઈએ ત્યારે લાગે છે કે તેમની વચ્ચે કશું પણ બરાબર નથી.
હકીકતમાં બે અજાણી વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે ક્યારેક ઝઘડાનાં માધ્યમથી લાગણી વ્યક્ત કરતી હોય છે અને સંબંધમાં લાગણી વ્યક્ત કરવી જરૂરી છે. આમ, ક્યારેક થતા ઝઘડાનો અર્થ એવો ન કાઢી શકાય કે તેમની વચ્ચે પ્રેમ નથી કે તેઓ પોતાનાં લગ્નજીવનમાં સુખી નથી. એક સંબંધમાં બે વ્યક્તિઓ હોય છે અને બંનેની ખુશી મહત્ત્વની હોય છે. આમ, સૌથી પહેલાં તો તમે તમારી દીદી અથવા તો કોઇ સમજદાર મિત્ર કે પછી વડીલ પાસેથી લગ્નજીવન શું છે એ સમજવાનો પ્રયાસ કરો અને પછી જ કોઇ નિર્ણય પર પહોંચો