પ્રશ્ન : હું 30 વરસની અપરિણીત મહિલા છું. મને એક પુરુષ સાથે પ્રેમ છે. અમારા આ પ્રેમની વાત અમારા સગા-સંબંધી તેમજ મિત્રો જાણે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી હું કન્ફ્યુઝ છું કારણ કે જ્યારે પણ હું તેને મારા મમ્મી-પપ્પાને મળવાનું કરું છું તો એ ટાળે છે. તેનો ઇરાદો શું છે એ હું સમજી શકતી નથી. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? એક મહિલા (સુરત)
ઉત્તર : જ્યારે પ્રેમી પ્રેમસંબંધ પછી પણ લગ્ન કરવાની ઉતાવળ ન કરે અથવા તો પ્રેમિકાના પરિવારને મળવાનું ટાળે ત્યારે પ્રેમિકાને તેના ઇરાદાઓ પર શંકા થાય એ સ્વાભાવિક છે. જ્યારે પ્રેમી આ પ્રકારનું વર્તન કરે છે ત્યારે એની પાછળ બે પરિસ્થિતિ જવાબદાર હોય છે. પહેલી પરિસ્થિતિ તો એ છે કે એ પુરુષનો ઇરાદો તમારી સાથે લગ્ન કરવાનો નથી. તે તમારી લાગણીઓ સાથે ચેડાં કરી રહ્યો છે.
તેને માટે તમે માત્ર ટાઈમપાસનું જ સાધન હો એમ લાગે છે. જો એવું હોય તો આ પુરુષને છોડી દેવામાં જ તમારી ભલાઈ છે અને પડતો મૂકી બીજો કોઈ યોગ્ય જીવનસાથી શોધી પરણી જાઓ. તેની પાછળ સમય વેડફવાનો કોઈ અર્થ નથી. બીજી પરિસ્થિતિ એ છે કે શક્ય છે કે તમારો પ્રેમી હજી રિલેશનશિપની જવાબદારી ઉપાડવા તૈયાર ન હોય. તેને તમારી કંપની ગમતી હોય પણ તે લગ્ન જેવા બંધનમાં બંધાવા ઇચ્છતો ન હોય અથવા તો તમારી સાથેની રિલેશનશિપને કારણે તેના પરિવારમાં કોઇ વિરોધ પ્રવર્તી રહ્યો હોય.
આ સંજોગોમાં હતાશ કે ગુસ્સો થવાને બદલે એક વખત શાંતિથી બેસીને તમારા પ્રેમી સાથે આખી પરિસ્થિતિની ચર્ચા કરીને એના મનની વાત જાણવાનો પ્રયાસ કરો. આ સંજોગોમાં શાંતિ અને ધીરજથી કામ લેવાથી જ પરિસ્થિતિનો ઉકેલ મેળવી શકાશે. જો તમને એમ લાગે કે તમારા સંબંધનું કોઇ ભવિષ્ય નથી તો આ મામલે વધારે ચર્ચા કરીને પરાણે સંબંધ બાંધવાને બદલે સલુકાઇથી અલગ પડી જવામાં જ સમજદારી રહેલી છે.
પ્રશ્ન : હું 45 વર્ષની મહિલા છું અને મારા પતિની વય 53 વર્ષની છે. મારી સમસ્યા એ છે કે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી મારા પતિને જાતીય જીવનમાં રસ નથી રહ્યો. આના કારણે હું ભારે અસંતોષ અનુભવું છું. હું તેમને મારી અકળામણ ઘણી વખત કહી ચૂકી છે પણ તેમને આ વાતની ગંભીરતાનો અહેસાસ જ નથી. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? એક મહિલા (વડોદરા)
ઉત્તર : જો પતિપત્નીની વચ્ચે જાતીય સંબંધને લઈને કટુતા કે અસહકારની ભાવના હોય તો લાંબા ગાળે એનું પરિણામ ભયાનક આવે છે. આ સ્થિતિમાં ઘણી વખત પરિસ્થિતિ ડિવોર્સ સુધી પહોંચી જાય છે અને માનસિક તાણના ગાળામાંથી પસાર થવું પડે છે.
આ મામલે પતિ અને પત્ની વચ્ચે વચ્ચે તાલમેલ હોય તો સોનામાં સુગંધ ભળી જાય છે પણ જો પાર્ટનર જાતીય સંબંધ ન રાખવા ઇચ્છે તો તેની ઇચ્છાને માન આપો કારણ કે તેની પાછળ કોઈ કારણ અચૂક હશે. મહિલાઓમાં મોટાભાગે માસિકધર્મ કે મેનોપોઝ સમયગાળાના કેટલાક દિવસોમાં કામેચ્છા ખૂબ ઓછી થઈ જાય છે.
તેથી તે દિવસોમાં સહવાસ માટે જીદ ન કરો. તે જ રીતે જો પતિ કોઈ કારણોસર તાણમાં રહેવાના કારણે અનિચ્છા વ્યક્ત કરે છે તો તેને માન આપો. સેક્સ કોઈ એકનો એકાધિકાર નથી હોતો. પતિ-પત્ની બંનેની એકબીજાને સંતુષ્ટ કરવાની ફરજ બને છે. જીવનની વ્યસ્તતા અને બિનજરૂરી તાણને યૌન સંબંધની વચ્ચે ન આવવા દો. સહવાસ ક્રિયાને માત્ર શારીરિક જરૂરિયાત સમજો.
તેની સાથે લાગણીઓ પણ જોડાયેલી હોય છે અને તે શરીરથી વધારે માનસિક જરૂરિયાત છે. તમારી વચ્ચે માનસિક તાલમેલ સાધો જેથી બંને એકબીજાની લાગણી અને વાતો સારી રીતે સમજી શકે. આ રીતે જ તમારી સમસ્યાનો ઉકેલ આવી શકશે.