બે વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે બંને એકબીજા સાથે પોતાની દરેક વાતની મુક્ત મને ચર્ચા કરતા હોય છે. સંબંધ પતિ-પત્નીનો હોય કે પ્રેમી અને પ્રેમિકાનો હોય, દરેક સંબંધમાં એકબીજા પ્રત્યેનું શારીરિક અને માનસિક આકર્ષણ જળવાઇ રહે તે જરૂરી છે. તેના માટે એકબીજાની રોજિંદી વાતો કે મનગમતી વાતો સિવાય સહવાસ અને સમાગમમાં પણ શું પસંદ છે,
તેની ચર્ચા પણ મુક્ત મનથી થાય તો સંબંધ વધારે ગાઢ બને છે. મોટાભાગના પતિ-પત્ની લગ્ન બાદ પોતાના જીવનને મશીન જેવું બનાવી દે છે. બંનેને તે ખબર હોતી નથી કે તેમને પોતાના શરીરને સંતોષ આપવા માટે કેવા પ્રકાપના પ્રેમની, સહવાસની, સમાગમની જરૂર છે. શારીરિક સંબંધ મિકેનિકલ બની જાય છે અને એકબીજાને કોઇપણ ફરીયાદ કર્યા વિના તે ચાલ્યા કરે છે. મનમાં ક્યાંક ને ક્યાંક એ વાત ચાલતી હોય છે કે શું તેને પસંદ આવતું હશે કે નહીં? પોતાને સંતોષ ન મળ્યાના નિસાસા હોય છે,
પણ ક્યારેય એકબીજા સામે વ્યક્ત થઇ શકાતું નથી. પત્ની જે રીતે તેના પતિને તેના ભાવતાં ભોજન વિશે પૂછીને તેને મનગમતું બનાવી પીરસીને જમાડવામાં આનંદ મેળવે છે તેવી જ રીતે સંબંધ બાંધવામાં પતિને શું પસંદ છે, તે પણ સહજતાથી પૂછી જ શકે છે. એ જ રીતે જેમ પતિ પોતાની પત્નીને કોઇ સાડી કે અન્ય વસ્તુની ભેટ આપતી વખતે તેને ગમવી જોઇએ તેનું ધ્યાન રાખે છે, ત્યારે સમાગમ દરમિયાન પત્નીને શું ગમશે અને તેને કઇ રીતે સંતુષ્ટ કરી શકાય, તેની વિશે પણ વિચારીને તેની સાથે મુક્ત મને ચર્ચા કરવી જોઇએ.
આવી ચર્ચા કરવામાં પતિ-પત્નીએ ક્યારેય શરમ-સંકોચ રાખવા જોઇએ નહીં. આ ચર્ચા જ તેમને વધારે નજીક લાવશે અને તેમના સંબંધને વધારે મજબૂત બનાવશે. આપણા જીવનમાં આપણે મનગમતી અને પસંદ પડે તેવી વસ્તુઓ, વ્યક્તિઓ સાથે સંબંધ રાખીયે છીએ, તો આ તો શરીરની જરૂરિયાતની વાત છે. એને પોતાના પતિ કે પત્ની પાસે પસંદગીથી મેળવવામાં ખચકાટ થવો જોઇએ નહીં. આપણે પણ જાણીયે છીએ કે ઘણીવાર આ પ્રકારની વાતચીતને ખોટી રીતે પણ લેવામાં આવતી હોય છે. પતિને જો આવા વિષય પર પત્ની સાથે ચર્ચા કરવાનું પસંદ ન હોય તો પત્ની દ્વારા કરવામાં આવતી તેની આ પ્રકારની વાતચીત તેને નકામી અને વાહિયાત લાગે છે.
બીજી તરફ ધાર્મિક કે શરમાળ પત્ની સાથે પતિ પણ આ પ્રકારની ખુલ્લા મને ચર્ચા કરી શકતો નથી. આવા સમયે બંનેએ વિચારવું જોઇએ કે પતિ પત્નીનો સંબંધ એકબીજાને તન-મનથી જોડવા અને સંતુષ્ટ કરવા માટેનો છે. તેમાં પછી શરમ, સંકોચ કે છોછ જેવી બાબતો વચ્ચે ન આવવી જોઇએ. જેટલી નિખાલસતાથી વાતચીત અને ચર્ચા થશે તેટલી એ બંને માટે સુખી તેમજ સંતોષકારક સાબિત થશે. જેમ જીવનના દરેક પાસાંનું સમાધાન બંને સાથે મળીને કરતા હો છો, તો એકબીજાને શારીરિક રીતે સંતોષ આપનારા પાસાંની પણ સાથે બેસીને ચર્ચા કરવી જરૂરી છે. જ્યારે આ પ્રકારની ચર્ચા તમે એકબીજા સાથે કરતા હો તો તમને એકબીજા પ્રત્યે કામેચ્છા વધે છે.