અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદ હાથતાળી આપી રહ્યો છે. રાત્રે અને દિવસ દરમિયાન થોડા થોડા સમયે ઝરમર વરસાદ વરસી રહ્યો છે પરંતુ સારો વરસાદ થતો નથી. જેના કારણે લોકો પણ હેરાન થઈ રહ્યાં છે. બીજી તરફ સોમવાર અને મંગળવાર બે દિવસ ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડી ઔશકે છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, સોમવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ પડશે. બીજા દિવસે મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આજે શુક્રવારે સવારના ૬ વાગ્યાથી સાંજના ૮ વાગ્યા સુધીમાં રાજ્યના કુલ ૪૨ તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જેમાં દાહોદના સીગવાડ અને તાપીના વ્યારા તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિવાયના વિસ્તારોમાં ૧થી ૮ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.