અમર પ્રેમ: પત્નીનું અકસ્માતમાં મોત થયાની જાણ થતાં જ પતિને આવ્યો હાર્ટઅટેક

GUJARAT

વડોદરા- શહેરના માણેજા ક્રોસિંગ વિસ્તારમાં અત્યારે શોકનો માહોલ છવાયો છે. અહીં એક પરિવારના બે મોભીઓનું એકસાથે નિધન થવાને કારણે તમામ લોકો સ્તબ્ધ છે. લગ્ન સમયે પતિ-પત્નીએ સાથે જીવવા-મરવાના વચન લીધા હશે, પરંતુ આ વચન આટલા કરુણ રીતે પૂરા થશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. માર્ગ અકસ્માતમાં પત્નીનું મૃત્યુ થયું હોવાના સમાચાર સાંભળતા જ પતિને આઘાત લાગ્યો હતો અને ગણતરીના કલાકોમાં તેમનું પણ નિધન થયુ હતું.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં વાસુદેવ ભાઈ ઘનશ્યામભાઈ અમીન(64) પરિવાર સાથે રહેતા હતા. ખાનગી કંપનીમાં નોકરી કર્યા પછી હવે તે નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા હતા. તેમના પત્ની સુશીલાબેન(61) ગૃહિણી હતા. પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાને કારણે સુશીલાબેન વહેલી સવારે પગપાળા મંદિર જવા નીકળ્યા હતા. તેઓ ઘર નજીક આવેલા મહાદેવના મંદિર જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક ચાલકે ટક્કર મારતાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી.

ટક્કર મારનાર બાઈક ચાલકે જ ઉભા રહીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. સુશીલાબેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સયાજી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. તબીબોએ સારવાર શરુ કરી હતી પરંતુ ટૂંક જ સમયમાં સુશીલાબેને અંતિમ શ્વાસ લઈ લીધા હતા. સુશીલાબેનના નિધનના સમાચાર જ્યારે વાસુદેવભાઈને આપવામાં આવ્યા તો તેમને ખૂબ આઘાત લાગ્યો હતો.

પત્નીના મૃત્યુની ખબર સાંભળીને વાસુદેવભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમને એકાએક ગભરામણ થઈ ગઈ અને તે બેભાન થઈ ગયા હતા. પરિવારના લોકો વાસુદેવભાઈને પણ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા. ગણતરીના કલાકોમાં બે સભ્યોનું એક પછી એક નિધન થવાને કારણે પરિવાર પર જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

સુશીલાબેન અને વાસુદેવભાઈના બે દીકરા છે, જે શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પુત્રની ફરિયાદને આધારે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ, પતિ-પત્નીની અંતિમ યાત્રા એક સાથે નીકળતાં સમગ્ર વિસ્તારમાં જાણે શોકનું મોજું ફરી વળ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *