મારી પુત્રીના લગ્નને આઠ વરસ થયા છે. તે સંયુક્ત પરિવારમાં રહે છે. તેને બે સંતાનો પણ છે. તેઓ હસી ખુશીથી જીવન વિતાવે છે. પરંતુ કેટલાક સમયથી મને મારી પુત્રીના ચહેરા પર ઉદાસી જોવા મળે છે. તેના ચહેરા પર મને પહેલા જેવી ખુશી જોવા મળતી નથી. મને ઘણી ચિંતા થાય છે. યોગ્ય સલાહ આપશો.
એક બહેન (અમદાવાદ)
શક્ય છે ગૃહસ્થીનો બોજો, સંતાનોના ઉછેર, સંયુક્ત પરિવારમાં તાલમેલ, પતિના કામની ચિંતા જેવા ઘણા કારણો તેની ઉદાસી પાછળ ભાગ ભજવી શકે છે. તેમજ થાક તેમજ રક્તની ઉણપ પણ આ પાછળ કામ કરી શકે છે. કોઇ પણ નિર્ણય લેતા પહેલા તમારી પુત્રી સાથે વાત કરો. ઘણી વાર પુત્રી પ્રત્યેના વધુ પ્રેમને કારણે પણ માતા-પિતાને આવી શંકા જતી હોય છે. આથી આ તમારી શંકા નથી. એ વાત બાબતે સ્પષ્ટ થઇ જાવ. તેને તેની રીતે જીવવા દો અને પોતાની જાતે જ સમસ્યામાંથી માર્ગ શોધવા દો.
હું ૨૨ વર્ષની વિવાહિતા છું, મને છ મહિનાનો ગર્ભ છે. મારા પતિને લગ્ન પહેલાં એક યુવતી સાથે પ્રેમ હતો. સામાજિક કારણોને લીધે તેઓ લગ્ન કરી શક્યા નહીં. હવે મારા પતિએ તે યુવતી સાથે જાતીય સંબંધ બાંધવાની ઈચ્છા મારી સમક્ષ વ્યક્ત કરી છે. હું ખૂબ જ માનસિક તાણ હેઠળ છું શું કરવું તેની સમજ પડતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (રાજકોટ)
તમારી સમસ્યાની સારી બાજુ એ છે કે તમારા પતિ તમારી સમક્ષ જુઠુ બોલી પડદા પાછળ વ્યભિચાર કતા નથી. તેની ભાવનાની કદર કરી પરિવાર તેમજ સંતાનના ભવિષ્યનો વિચાર કરવાનું જણાવી તમારા પતિને સાચા માર્ગ પર લાવવાનો પ્રયત્ન કરો અને તેને માનસિક સહારો પૂરો પાડવાનો પ્રયાસ કરો. ગર્ભમાં પોષાતા બાળકના સ્વાસ્થ્ય માટે તમારે મન પ્રફુલ્લિત રાખવાની જરૂર છે અને એ વિશ્વાસ રાખો કે બાળકના જન્મ પછી તમારા પતિની વર્તણુકમાં જરૂર બદલાવ આવશે.